ચા વિષે જાણવા જેવું

ચાનો મોટાભાગનો પાક ભારત, ચીન, બાંગ્‍લાદેશ અને શ્રીલંકામાં થાય છે. 
ચાના પાકને ઢોળાવવાળા, પાણી નીતરી જાય તેવી જમીન, વધારે વરસાદ અને ભેજવાળું વાતાવરણ અનુકુળ આવે છે. 
ચાના છોડ નર્સરીમાં ઊગાડાય છે. એક વરસ પછી એ છોડ નર્સરીમાંથી ઊખાડીને ખેતરોમાં એક એક મીટરના અંતરે રોપાય છે. શરૂઆતમાં એ છોડ થોડા સેન્ટિમિટર રહેવા દઇ વાઢી નાખવામાં આવે છે. આમ નવાં પાંદડાંના વિકાસ માટે એને સતત વાઢવામાં આવે છે. ત્રણ વરસ પછી ચાની ગીચ ઝાડી એક મિટર ઊંચી થાય છે. હવે તેના પાંદડા પીઠ પર પટ્ટાથી બાંધેલા મજબૂત ટોપલા સાથેની સ્‍ત્રીઓ ચૂંટે છે. 
એક-બે અઠવાડિયા પછી ચૂંટાયેલા પાંદડાંની જગ્‍યાએ નવાં પાંદડાં દેખાય છે. ચૂંટેલા પાંદડાને બગીચામાંના કારખાનામાં લઇ જવાય છે. કારખાનામાં એ પાંદડાંને પાટિયા પર પાથરી દઇ ૨૪ કલાક સૂકાવા દેવામાં આવે છે. પાંદડાંમાંનો ભેજ ઊડી જતાં એ પાટિયા પર ગરમ હવા ફૂંકીને પાંદડાંના સૂકાવાની પ્રક્રિયા ઝડપી બનાવાય છે. પછી એ પાંદડાંને છૂંદવા માટે રોલરમાં નાખવામાં આવે છે. 
ચા પીણું બનાવવા માટે તૈયાર થઇ એટલે તેને ‘આખી’ અને ‘ટુકડા’ ના રૂપમાં વહેંચવામાં આવે છે. પછી ચાને અંદરથી ચારેબાજુ ધાતુના પાતળા પતરાંવાળી પેટીઓમાં પેક કરવામાં આવે છે. ચાના અનુભવીઓ તેને ચાખીને ટેસ્‍ટ કરે છે. તેમની ભલામણથી કંપનીઓ ચા ખરીદે છે. ચા એક સરખા સ્‍વાદવાળી બને તે માટે જુદી જુદી ચાનું મિશ્રણ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો