♥ આચાર સંહિતા એટલે શું ? ♥

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો અને સરકારનાં પ્રધાનોએ તેનું પાલન કરવાનું હોય છે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા અધિકારીઓ તમામનાં આચરણ પર ચાંપતી નજર રાખે છે.

આદર્શ આચાર સંહિતા એટલે શું ? આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે.

💁🏻શા માટે આચારસંહિતાની જરૂર?

ચૂંટણી દરમિયાન શાસક પક્ષ કે ગઠબંધન સહિત તમામ પક્ષોને ચૂંટણી લડવા માટે સમાન તક મળે તે માટે આચારસંહિતા ઘડવામાં આવી છે. રાજકીય પક્ષો વચ્ચે તણાવ-ઝગડાં કે ઝપાઝપી ટાળવા માટે, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજય તે માટે તેનું પાલન કરાવવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્યની શાસક પાર્ટી તેની સત્તાવાર સ્થિતિનો ચૂંટણી દરમિયાન દુરૂપયોગ ન કરે, તે માટે આચારસંહિતા જરૂરી છે.

વર્ષ 2000માં એક વિવાદ થયેલો. આદર્શ આચારસંહિતા ક્યારથી અમલી બને? તે મુદે વિવાદ થયેલો. ચૂંટણી પંચનો અભિપ્રાય હતો કે, ચૂંટણીની તારીખો જાહેર થાય કે તૂર્ત જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય. ચૂંટણી પંચનાં આ નિર્દેશની સામે એનડીએ સરકારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવેલાં. સરકારનો તર્ક હતો કે, જે તબક્કાનું ચૂંટણી જાહેરનામું બહાર પડે, ત્યારબાદ જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થવો જોઈએ. આ અંગે ચૂંટણી પંચ દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સર્વાનુત્તે નક્કી કરવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવે, તે સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની જાય.

રાજકીય પક્ષો અને તેનાં નેતાઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ, ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનો પર આચારસંહિતા લાગૂ પડશે. મોદીએ તેમની વિવેકાનંદ યાત્રાને મોકૂફ કરી દેવી પડશે.ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈ અધિકારીની બદલી નહીં થઈ શકે. તેઓ સરકારી વહીવટીતંત્ર કે સરકારી કર્મચારીઓનો ઉપયોગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે ન કરી શકે. ઉડ્ડાણો માટે હેલિપેડ્સ અને હવાઈ પટ્ટીઓ, જાહેર સભા માટે સાર્વજનિક સ્થળોનો ઉપયોગ તમામ રાજકીય પક્ષોને સમાનપણે કરવા દેવો પડે છે. તમામ રાજકીય પક્ષોને સમાન પ્રકારની શરતો અને જોગવાઈઓનાં આધારે સ્થળ આપવું પડે છે. જે નિયમો વિપક્ષને લાગૂ પડે છે, તે જ નિયમો શાસક પક્ષને પણ લાગૂ પડે છે.

કોઈપણ પ્રધાન કે સત્તામંડળ સેન્ક્શન ગ્રાન્ટ, અને વિવેકાધિન ફંડમાંથી ચૂકવણું નહીં કરી શકે. ચૂંટણી પંચે તારીખો જાહેર કરી ત્યારથી જ આ જોગવાઈઓનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન કે અન્ય કોઈ પ્રધાન જાહેર પ્રજાનાં ખર્ચે કોઈ જાહેરાત પ્રકાશિત ન કરાવી શકે. સરકારી પ્રસાર અને પ્રચાર માધ્યમોનાં ઉપયોગ પર પણ નિયંત્રણ આવી જાય છે. પ્રધાનો લોકો માટે કોઈ વચન કે નાણાકીય ફાળવણી ન કરી શકે. તેઓ કોઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ન કરી શકે તથા ખાતમૂહર્ત પણ ન કરી શકે. સરકારી સ્થાયી કે હંગામી નિમણૂંકો ન થઈ શકે તથા આ માટે પ્રક્રિયા પણ હાથ ન ધરી શકાય.

♥ ક્વીન ઓફ ઠૂમરી - ગિરિજા દેવી ♥


👉🏻 ભારતમાં શાસ્ત્રીય ગાયકીમાં જેનું નામ સૌથી પહેલી હરોળમાં લેવામાં આવે છે તેવાં ગિરિજા દેવીનું ભારતીય પરંપરાગત ગાયકીને જીવંત રાખવામાં અનન્ય યોગદાન છે.

👉🏻  ગિરિજા દેવીને શાસ્ત્રીય કલામાં તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ' થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

👉🏻  ગિરિજા દેવીનો જન્મ ૮ મે, ૧૯૨૯ના વારાણસી ખાતે થયો હતો.

👉🏻  ગિરિજા દેવીના પિતા સંગીતનું ઘણું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેઓ ખૂબ સારાં હાર્મોનિયમ વાદક હતા. જેનો લાભ બાળપણથી જ ગિરિજા દેવીને મળ્યો હતો.

👉🏻  ગિરિજા દેવીએ પાંચ વર્ષની ઉંમરમાં જાણીતા સારંગીવાદક અને ગાયક સરજુપ્રસાદ મિશ્રા પાસેથી ગાયકીનું જ્ઞાન મેળવ્યું.તેમણે નવ વર્ષની ઉંમરે ‘યાદ રહે’ નામની ફિલ્મમાં અભિનય પણ કર્યો.

👉🏻  ૧૯૪૬માં તેમણે સિરકાના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યાં. લગ્ન બાદ પણ તેમના શોખ પ્રત્યે તેમને એટલો જ લગાવ હતો. તેમની માતા, દાદી અને કુટુંબમાં બીજા બધા લોકોનું એવું માનવું હતું કે સારા અને મોટા ઘરની દીકરીએ જાહેરમાં કોઈ પણ જાતના કાર્યક્રમ કે સમારંભમાં જવું જોઈએ નહીં. તેમ છતાં ગિરિજા દેવી મક્કમ હતાં. પરિવારનો વિરોધ વહોરીને પણ તેમને કલા અને ગાયકીના ક્ષેત્રને મૂક્યું નહીં. આજે જ્યારે પણ ભારતીય ગાયકી અને શાસ્ત્રીય સંગીતની વાત આવે ત્યારે ગિરિજા દેવીનું નામ પહેલાં લેવામાં આવે છે.

👉🏻  ગિરિજા દેવીએ સૌથી પહેલી વાર અલાહાબાદથી ૧૯૪૯માં ‘ઓલ ઇન્ડિયા રેડિયો પર  તથા ૧૯૫૧માં બિહારમાં જાહેર સમારંભમાં પરફોર્મન્સ આપ્યું હતું.

👉🏻  ૧૯૮૦માં ગિરિજા દેવી ‘આઇટીસી સંગીત રિસર્ચ એકેડેમીલ્લમાં ફેકલ્ટી મેમ્બર તરીકે જોડાયાં હતાં.

👉🏻  ૧૯૯૦માં તેઓ ‘હિન્દુ બનારસ યુનિવર્સિટી સાથે જોડાયાં હતાં, જેનો લાભ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળ્યો હતો.

👉🏻  ગિરિજા દેવી બનારસ ઘરાનાની ગાયિકા છે તેમજ તેઓ ઠૂમરી જેવી પરંપરાગત શૈલીમાં પણ ઘણાં બધાં પરફોર્મન્સ આપ્યાં છે. સાથે સાથે તેઓ સેમી ક્લાસિકલ કજરી, ચલતી અને હોલીમાં પણ પારંગત છે.ગિરિજા દેવીને ‘ક્વીન ઓફ ઠૂમરી' થી નવાજવામાં આવ્યાં છે.

♥ નાનાં જીવજંતુને મગજ હોય છે! કેવું હોય છે? ♥

જીવજંતુને મગજ હોય છે, પણ ઘણું નાનું હોય છે. તેમાં હલનચલન કરનારા અવયવોને સૂચના આપવા માટે મગજ જરૃરી હોય છે. તેમનામાં જ્ઞાનતંતુનું નેટવર્ક પણ સાવ સરળ અને નહીંવત્ હોય છે. સામાન્ય રીતે જીવડાનું જ્ઞાનતંત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. મગજનું જોડાણ તેની છાતીનાં અનેક કેન્દ્રો સાથે જોડાયેલું હોય છે. જ્ઞાનકેન્દ્રમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ શરીરના વિવિધ ભાગ તરફ પ્રસરેલા હોય છે. જીવડાનું જ્ઞાનતંત્ર આગળના ભાગે પ્રાથમિક મગજ ધરાવે છે. જંતુશાસ્ત્રીઓ આ ભાગને મગજના ચેતાકંદ તરીકે ઓળખાવે છે. આ ભાગ તેની ઘ્રાણેન્દ્રિય, આંખો અને સ્પર્શકો સાથે જોડાયેલો હોય છે. મગજનું જોડાણ છાતીમાં અસંખ્ય કેન્દ્રો સાથે હોવાથી સૂચના આખા શરીરના અવયવોમાં પહોંચે છે.

♥ બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો કેમ હોય છે? ♥

વાંસ હકીકતમાં અંકુરમાંથી વિકાસ પામતા હોય છે. તમે એક વાંસને વચ્ચેથી કાપશો તો એમાં રહેલા અનેક સાંધા એકબીજાની અડોઅડ દેખાશે. વાંસનો અંકુર જ્યારે વિકાસ પામે છે ત્યારે અંકુર પહોળા થવાની જગ્યાએ એના સાંધાઓની વચ્ચેનું અંતર વધતું જાય છે. આ કારણે વાંસ જ્યારે લાંબા થાય છે ત્યારે એની વચ્ચેના સાંધાઓના વધતાં જતાં અંતરના કારણે એ પોલો થતો જાય છે. આમ, બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો હોય છે.

♥ ઘુવડ રાતના અંધારામાં ચોખ્ખું કેવી રીતે જોઈ શકે? ♥

🌸  ઘુવડને દિવસે દેખાય છે પણ એટલું સાફ નથી દેખાતું જેટલું રાતે દેખાય છે. એના પગમાં વાંકા નખવાળા ચાર પંજાઓ હોય છે, જેનાથી એને શિકાર પકડવામાં વધારે સગવડ રહે છે. વસ્તુમાંથી આવતો પ્રકાશ આપણી આંખોની અંદર રહેલાં લેન્સ દ્વારા આંખના પડદા પર કેન્દ્રિત થાય છે. આંખના આ પડદાને રેટિના કહેવામાં આવે છે. એના પર વસ્તુનું ઊંધું પ્રતિબિંબ પડે છે, જે મગજ દ્વારા સીધું કરાય છે અને વસ્તુ આપણને દેખાય છે. 
ઘુવડની આંખોમાં ચાર ખૂબીઓ હોય છે, જેને કારણે એને રાત્રે વધારે દેખાય છે.

👉🏻  પહેલી ખૂબી તો એ છે કે એની આંખના લેન્સ અને રેટિનાની ઉપર મોટું પ્રતિબિંબ પડે છે.

👉🏻  બીજી એની આંખમાં સંવેદનકોષોની સંખ્યા ઘણી વધારે હોય છે. એની સંખ્યા દર ચોરસ મિલિમીટરે લગભગ ૧૦,૦૦૦ હોય છે, જ્યારે આપણી આંખોમાં એની સંખ્યા ૨૦૦૦ દર ચોરસ મિલિમીટર હોય છે.

👉🏻  ત્રીજી એની આંખમાં એક લાલ રંગનો પદાર્થ હોય છે, જે ખરી રીતે એક પ્રોટીન છે. એના કારણે રાતના પ્રકાશ માટે એની આંખો વધારે સંવેદનશીલ થઈ જાય છે.

👉🏻  ચોથું, એની આંખની કીકીઓ વધારે ફેલાઈ શકે છે. જેનાથી ઓછામાં ઓછો પ્રકાશ પણ એની આંખમાં જઈ શકે છે. આ ચારે ખાસિયતોને કારણે ઘુવડને રાતે વધારે દેખાય છે.